અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી ગયો છે ત્યારે જામનગરના રાજકીય જાડેજા પરિવારમાં ફરી નણંદ અને ભાભી આમનેસામને આવી ગયા છે. વિખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપના ધારાસભ્ય છે જ્યારે તેમના બહેન નયનાબા કોંગ્રેસના આગેવાન છે. રિવાબાએ તાજેતરમાં કહ્યું કે લોકોએ રામમંદિર મુદ્દે રાજકારણથી ઉપર ઉઠીને વિચારવું જોઈએ. તેના જવાબમાં નયનાબાએ કહ્યું છે કે “અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી.”

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે રિવાબાની ટિપ્પણીના જવાબમાં તેમના નણંદ નયનાબાએ જણાવ્યું કે “મંદિર જ્યારે આખું તૈયાર થઈ જાય ત્યારે જ તેની પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ.”

માત્ર આટલેથી ન અટકતા નયનાબાએ એમ પણ કહ્યું કે, “સંસ્કાર અને ધર્મની વાતો તમારા મોઢેથી શોભતી નથી.” તેમણે રિવાબાનું નામ લીધા વગર આ પ્રહાર કર્યા છે. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી વખતે પણ નયનાબા અને રિવાબા આમને સામને આવી ગયા હતા કારણ કે બંને એકદમ વિરુદ્ધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે.

આ અગાઉ રિવાબાએ રામ મંદિરના નિર્માણનો યશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપતા જણાવ્યું કે, “પાંચસો વર્ષથી જે પ્રશ્ન હતો તે ઉકેલાયો છે. તેથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજનીતિથી ઉપર વિચારીને આ પ્રસંગને આવકારવો જોઈએ.”

તેની સામે નયનાબાએ કોઈનું નામ લીધા વગર આકરો પ્રહાર કરતા કહ્યું કે, “તમે છોટી કાશી (જામનગર)માં રહો છો. પરંતુ તમારામાં ધર્મનું જ્ઞાન નથી. પ્રાણ પ્રતિષ્ઠા તો ત્યારે હોય જ્યારે મંદિર પૂર્ણ બની જાય. ત્યાર પછી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભગવાનની મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવે છે.” તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ મંદિર સંપૂર્ણ તૈયાર થશે ત્યારે જ મંદિરે જશે.

આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે તેમાં હાજર રહેવું કે નહીં તે મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે. આ સમારોહ માટે ભાજપે આપેલા આમંત્રણને કોંગ્રેસે ફગાવી દીધું છે.

નયનાબાએ કહ્યું કે “રામ મંદિરના મુદ્દાને રાજકીય એન્ગલથી જોવો ન જોઈએ તેવું ભાજપ કહે છે. અમારું પણ એવું જ કહેવું છે કે આ મુદ્દાને રાજકીય બનાવવો ન જોઈએ. અત્યાર સુધી કોઈ પણ કોંગ્રેસી નેતાએ એવું નથી કહ્યું કે અમે રામ મંદિરના નિર્માણથી ખુશ નથી. બધા ખુશ છે. પરંતુ અમારો મુદ્દો એ છે કે મંદિરનું ઉદ્ઘાટન કરવાની તમને આટલી ઉતાવળ શા માટે છે? ઈતિહાસમાં ક્યારેય એવું સાંભળ્યું છે કે મંદિર અધુરું હોય અને તેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય? તેઓ અમને શીખામણ આપે છે ત્યારે અમે તેના જવાબમાં કહીએ છીએ કે અમારો વિરોધ નથી. મંદિર એક વખત આખું બની જાય ત્યાર પછી અમને આમંત્રણ આપો. ત્યારે બધા કોંગ્રેસી નેતાઓ ત્યાં આવશે. અત્યારે તો તમે મંદિરના ઉદઘાટનને રાજકીય એન્ગલ પર લઈ જાવ છો.”

તેમણે કહ્યું કે અગાઉ ઘણા ભક્તો કહેતા હતા કે મંદિરનું ઉદ્ઘાટન થશે. હવે તેને પ્રાણ પ્રતિષ્ઠા કહે છે. પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે કહેવાય જ્યારે મંદિર આખું બની જાય અને પછી મંદિરમાં મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવે. જે સાધુસંતો અને મહાત્માઓ આ માટે લડ્યા હતા તેમને પણ ભાજપે સાઈડલાઈન કરી દીધા છે. સાધુસંતો કહી રહ્યા છે કે અધુરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય. છતાં તમે તેની અવગણના કરો છો.

નયનાબાએ જણાવ્યું કે જામનગર છોટી કાશી તરીકે ઓળખાય છે. અહીંની ધર્મપ્રેમી જનતાને ખબર છે કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય. પરંતુ તેમને કદાચ આ વાતનું જ્ઞાન નથી. અયોધ્યા વિશે નાનામાં નાની વ્યક્તિને પણ પૂછશો તો તે પણ કહેશે કે આ પ્રાણ પ્રતિષ્ઠા યોગ્ય નથી.

તેમણે કહ્યું કે, “જામનગરમાં આટલા વર્ષોથી રામધુન ચાલે છે, અહીં મહાદેવનું મંદિર છે, માતાજીનું મંદિર છે, અન્નપૂર્ણાનું મંદિર છે. ત્યારે તમને બધી ખબર હોવી જોઈએ. તમે ઉપરથી આદેશ આવે તેમ આંધળુકીયા કરો, ભેડચાલ ચાલો, દિવસ કહે તો દિવસ, રાત કહે તો રાત બોલો તેવું ન હોવું જોઈએ. તમારું પોતાનું કોઈ નોલેજ હોવું જોઈએ.”

પોતાના ભાઈ રવિન્દ્ર જાડેજા અને ભાભી રિવાબાને આમંત્રણ મળ્યું તે વિશે નયનાબાએ કહ્યું કે, “તેમને આમંત્રણ મળ્યું તેમાં કોઈ નવાઈની વાત નથી. ત્યાં તેઓ જ મોટી સંખ્યામાં હશે. આ બધા આંધળુકિયા છે. કોરોના વખતે પણ સાહેબે ઘંટી વગાડવા કહ્યું હતું તો તેનાથી કોરોના જતો રહ્યો? અમારું કહેવું છે કે આ ધતિંગ છે અને તમારા ફાયદા માટે આ કાર્યક્રમ યોજી રહ્યા છો. પોલિટિકલ લાભ માટે આ કાર્યક્રમ હોવાથી અમે તેમાં હાજર નહીં રહીએ.”